રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો.

રાજ્યપાલએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે.

રાજ્યપાલએ યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે, ત્યાં વૃક્ષારોપણ, જ્યાં દીન-દુખી લોકો છે, તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.

ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ. તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ કેળવીએ તેવી અપેક્ષા રાજ્યપાલએ વ્યક્ત કરી “જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મૂર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ” તેમ કહી મેળવેલા જ્ઞાનને ઉત્સાહ, ઉમંગથી અન્ય લોકો સાથે વહેંચવા અને પોતાના વ્યક્તિત્વમાં રહેલા અનેક પાસાઓને ઉજાગર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

રાજ્યપાલએ આજના એક અખબારમાં આવેલી જામનગરના એક ખેડૂત યુવાનની વાત કહીને કઈ રીતે આ સામાન્ય ખેડૂતે પોતાની પત્નીના ખાડામાં પડવાના કારણે થયેલા મૃત્યુને એક કારણ બનાવીને સમાજના હિત ખાતર પોતાના ખિસ્સાના રુ.21 લાખ ખર્ચીને પ્રદેશમાં પડેલા ખાડાઓને પૂરવામાં લાગેલો છે. તેની લાગણીસભર વાત કરી આ પ્રકારના જીવંત અને જવાબદાર નાગરિક બનવાની શીખ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી.

આ તકે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવતાં વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, સંસ્કૃતિ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ એટલે સંસ્કૃત. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો, ત્યારે એ દ્રષ્ટિથી પાયો નાખ્યો હતો કે સંસ્કૃતનું જતન એટલે સંસ્કૃતિનું જતન થાય. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, દુનિયાએ સંસ્કૃત અને ભારતની સંસ્કૃતિ અપનાવવી પડશે. ગમે એટલા ભૌતિક સુખ-સાધનો શોધાઈ જશે, પરંતુ માનસિક સમજણ સંસ્કૃતમાંથી જ પ્રાપ્ત થશે. સંસ્કૃત એ દેવવાણી છે. જેના થકી આજે નહીં તો કાલે અને યુગો બાદ પણ દુનિયામાં ભારતની સંસ્કૃતિ ફેલાતી રહેશે. સંસ્કૃતમાંથી જ અનેક સાહિત્યોનું નિર્માણ થયું છે. પાંચ-દસ હજાર વર્ષ પહેલા ઋષિમુનીઓએ લખેલા રામાયણ, મહાભારત અને ઉપનિષદો આજે પણ લોકભોગ્ય છે. ‘તેન ત્યક્તેન ભુંજીથા:’ આ શબ્દો જ મનને સંતુષ્ટિ પમાડે છે. ભારતને વૈચારિક જરૂરિયાત આ વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રાપ્ત થાય અને તેમનું જ્ઞાન સર્વત્ર ફેલાય એવી અભ્યર્થના તેમણે તેમના વર્ચ્યુઅલ સંદેશ દ્વારા આપી હતી.

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે સંસ્કૃતનું અદ્યાપન અને અધ્યયન કરીને રાષ્ટ્રની મોટી સેવા કરી છે. આજે જ્યારે આર્ટિફિશ્યિલ ઈન્ટેલીજન્સ, ડીપફેક વગેરે શબ્દ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે વર્તમાનમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓએ પણ સંસ્કૃત શાસ્ત્રના અભ્યાસુ હોવાની સાથે તમામ અભ્યાસ કરવો જરૂરી છે. વિભિન્ન તમામ ક્ષેત્રમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓ નિપુણતા કેળવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિએ કહ્યું હતું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદ, વેદાંગ, વ્યાકરણ, પુરાણ સહિતના વિષયોનું અધ્યયન અને અધ્યાપન ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે અને દેશ સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે, તેની વિગતો આપી હતી. યુનિવર્સિટીના કુલસચિવ દશરથ જાદવે આભારવિધિ કરી હતી.

સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૦૪, આચાર્ય (એમ.એ.)-૨૨૨, પી.જી.ડી.સી.એ.-૨૦૧, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૪, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૫ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૧ એમ કુલ ૭૯૭ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં. આ પદવીદાન સમારોહમાં ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ ૨૭ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતાં. આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment